Published On Premiered Aug 4, 2023
મસૂરી (અંગ્રેજી: Masūrī) એ ભારતના રાજ્ય ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિ મથકોની રાણી કહે છે. આની પાસેના શહેર લાંદોરમાં સૈનિક છાવણી છે તે સિવાય આની બાજુમં બારલોગંજ અને ઝારીપની જેવા શહેર આવેલાં છે.
સમુદ્ર સપાટીથી ૧૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલ અને લીલી વનરાજી ઘેરાયેલ આ ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. આની ઈશાન તરફ હિમાચ્ચાદિત પર્વતો અને દક્ષિણ તરફ દેખાતી દેહરાદૂનનો ખીણ પ્રદેશ આવેલો છે. આથી અહીંના સહેલાણીઓને પરીકથા સમ ભૂમિનો અનુભવ થાય છે. અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા ૨૨૯૦મી ની ઊંચાઈએ આવેલું છે.
૧૮૩૨માં હાથ ધરાયેલ ભારત ભૂમિના દક્ષિણ છેડેથી શરૂ થયેલ સર્વેક્ષણ (Great Trigonometric Survey of India)નું મસૂરી અંતિમ સ્થળ રાખવામાં આવ્યું હતું. સર્વેયર જનરલ ઓફ ઈંડિયા, તે સમયે સર્વે ઓફ ઈંડિયાનું કાર્યાલય મસૂરીમાં રાખવા માંગતા હતાં. જોકે એ વાત મનાઈ નહીં. છેવટે વાટાઘાટ કરી તેને દેહરાદૂનમાં રાખવાનો નિર્ણય લેવાયો. આજે પણ તે દેહરાદૂનમાં છે. ૧૯૦૧ સુધીમાં મસૂરીની વસતિ ૬૪૬૧ થઈ ગઈ હતી, જે ઉનાળા દરમ્યાન ૧૫૦૦૦ જેટલી થઈ જતી. પહેલાં મસૂરી સહારનપુરથી રસ્તા માર્ગે ૫૮ માઈલ દૂર આવેલું હતું. ૧૯૦૦ના વર્ષમાં દેહરાદૂન સુધી રેલ્વે પહોંચતા અહીં પહોંચવાનું સરળ બન્યું હતું, આમ રસ્તા પ્રવાસ ૨૧ માઈલ જેટલો ઘટી ગયો.[૧]
મસૂરી નામ આ ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા મંસૂર ના છોડ પરથી પડ્યું હોવાનું મનાય છે. મોટા ભાગે ભારતીયો આને મંસૂરી તરીકે પણ ઓળખે છે.
અન્ય ગિરિમથકોની જેમ મસૂરીમાં પણ વિહાર સ્થળને મોલ કહે છે. અહીનું મોલ પૂર્વમાં પીક્ચર પેલેસ થી શરૂ કરી પશ્ચિમમાં પુસ્તકાલય સુધી લાંબો છે. બ્રિટિશ રાજમાં અહીંના મોલ પર પાટીયા મારેલા હતાં: "ઈંડિયન એંડ ડોગ્સ આર નોટ અલ્લાઉડ" (ભારતીયો અને કૂતરાઓનો પ્રવેશ વર્જિત). બ્રિટિશ રાજમાં બ્રિટિશરો દ્વારા અને બ્રિટિશરો માટે વિકસાવાયેલા ગિરિમથકોમાં આવા રંગભેદી સૂત્રો સામાન્ય હતાં. મોતીલાલ નેહરુ ,જવાહરલાલ નેહરુના પિતા જ્યારે પણ મસૂરીમાં રહેતાં ત્યારે દરરોજ આ નિયમ ભંગ કરતા અને દંડ ભરતાં. ૧૯૨૦, ૧૯૩૦, ૧૯૪૦ દરમ્યાન નહેરુજીની પુત્રી ઈંદિરા ગાંધી સહિત નહેરુ પરિવાર નિયમિત રીતે મસૂરી આવતું. તેઓ હમેંશા સેવોય હોટેલમાં રહેતાં. તેઓ બાજુમાં આવેલ દેહરાદૂનમાં પણ ઘણો સમય ગાળતાં જ્યાં નહેરુને બહેન વિજયાલક્ષ્મી પંડિત સ્થાયી થયાં હતાં.
૧૯૫૯ના તિબેટિયન વિગ્રહ સમયે મધ્યવર્તી તિબેટિયન વ્યવસ્થાપન ધર્મશાલા ખસેડતા પહેલાં મસૂરીમાં સ્થાપિત કરાયું હતું. મસૂરીમાં પ્રથમ તિબેટિયન શાળા ૧૯૬૦માં સ્થાપિત કરવામાં આવી. તિબેટિયનો મોટે ભાગે અહીંની હેપ્પી વેલી નામના સ્થળે રહે છે. અહીં આજે લગભગ ૫,૦૦૦ તિબેટિયનો વસે છે.
વધુ પડતી હોટેલો-લોજથી શહેર અતિ વિકાસથી પીડાય છે. દિલ્હી, અંબાલા અને ચંદીગઢ જેવા શહેરની નજીક આવેલ હોવાથી અહીં પ્રવાસીઓનો ધસારો વધુ રહે છે. આને કારણે અહીં ઘન કચરો વિસ્થાપન પાણીની તંગી પાર્કિંગ સ્થલની તંગી આદિ વધી છે. લાંદોર, ઝાનીપાની અને બારલોગંજમાં આ સમસ્યાઓ ઓછી છે.